Rajkot: વાહન અકસ્માત યોજના, જેમાં અકસ્માતગ્રસ્તને મળશે રૂ.50 હજાર સુધીની ફ્રી સારવાર

SHARE THE NEWS

માનવ જીવન બચાવવા યોગદાન આપવા લોકોને અપીલ

Rajkot: રાજકોટ, તા. 04/03/2024 વાહનોની વધતી જતી સંખ્યા સાથે રસ્તા પર અકસ્માતોની સંખ્યા પણ વધતી જાય છે. વાહન અકસ્માત ઘરના એક વ્યક્તિને થાય પરંતુ તેનું પરિણામ આખા કુટુંબને ભોગવવું પડતું હોય છે. તેમાં પણ ઘરની મુખ્ય જવાબદાર વ્યક્તિનું જ્યારે અકસ્માતથી મૃત્યુ થાય તો આખુ કુટુંબ માનસિક તથા આર્થિક રીતે નિરાધાર થઇ જાય છે.

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જો અકસ્માતગ્રસ્ત વ્યક્તિને પ્રથમ એક કલાક (ગોલ્ડન અવર)ની અંદર હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે તો મહત્તમ લોકોને બચાવી શકાય છે અને 50% મૃત્યુ દરને ટાળી શકાય છે.

અકસ્માત પછી તાત્કાલિક (ગોલ્ડન અવર)એ પ્રથમ કલાક છે, જેમાં ઇમર્જન્સી મેડીકલ સારવાર જરૂરી છે અને જો આવી કોઈ સારવાર આપવામાં આવે તો પીડીતને બચાવી શકાય છે એ હેતુ સિધ્ધ કરવા ગુજરાત સરકાર દ્રારા વાહન અકસ્માત યોજના કાર્યરત છે.

વાહન અકસ્માત યોજનાનો લાભ કોને અને કેવી રીતે મળી શકે?

ભારતના કોઇપણ નાગરિકને વાહન અકસ્માતમાં ઇજા થાય તો આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. જેમાં રૂ. પચાસ હજારની મર્યાદામાં કોઇપણ સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીને વિનામુલ્યે મેડીકલ સારવાર આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટે આવકની કોઈ મર્યાદા નથી. અકસ્માત ગુજરાત રાજ્યની હદમાં થયેલ હોય તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. અકસ્માત થયાના 48 કલાકની અંદર જ સારવાર કરેલ હોવી જોઇએ.

આ યોજનાના લાભાર્થીએ જે તે સારવાર લીધેલ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલને જાણ કરવાની રહેશે અને ત્યાર બાદ પ્રાઇવેટ કે સરકારી હોસ્પિટલે સરકાર દ્વારા નક્કી કરેલ કચેરીને જાણ કરવાની રહેશે.

અકસ્માત સહાય યોજના માટે કોઇ પણ અકસ્માત પામેલ વ્યક્તિને સારવાર આપી સરકારે નિયુક્ત કરેલ સંસ્થાને જાણ કરવાની રહેશે. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી તથા રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ ચીફ ડીસ્ટ્રીક્ટ મેડીકલ ઓફિસર, પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટને સ્થાનિક નિયુકત સંસ્થા જાહેર કરેલ હોય,

રાજકોટ જિલ્લામાં સારવાર આપનાર હોસ્પિટલોએ તેને જાણ કરવાની રહેશે. વધુ માહીતી માટે કોઇપણ પ્રાઇવેટ હોસ્પિટલોએ ચીફ ડીસ્ટ્રીક મેડીકલ ઓફિસર, પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

આ યોજનાનો લોકો વધુમાં વધુ બહોળો પ્રચાર કરે અને અનેક લોકોના જીવન બચાવવા લોકો યોગદાન આપે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી. કે. સિંગની યાદી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *